પાનોલી ની સિગ્મા લાઈફ સાયન્સનો માનવીય અભિગમ; મૃતક કર્મચારીની ૪ દીકરીઓના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ કંપની ઉઠાવશે
=કંપનીએ મૃતકના પરિવારને ₹૨૦ લાખની આર્થિક સહાય જાહેર કરી
અંકલેશ્વર ની પાનોલી જીઆઇડીસી ની સિગ્મા લાઈફ સાયન્સ કંપની એ માનવીય અભિગમ અપનાવી મૃતક કર્મચારીના પરિવારને ₹૨૦ લાખની આર્થિક સહાય તો જાહેર કરી જ છે, સાથે તેમની ચાર નાની દીકરીઓના સંપૂર્ણ શિક્ષણનો ખર્ચ પણ કંપની પોતે ઉઠાવશે તેવી મોટી ઘોષણા કરી અન્ય માટે પ્રેરણારૂપ બની છે.
પાનોલી જીઆઇડીસી માં આવેલ સિગ્મા લાઈફ સાયન્સ કંપનીમાં ફરજ બજાવતા છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકાના જેર ગામ ના 34 વર્ષીય કર્મચારી પ્રશાંત રાઠવાના રહસ્યમય મૃત્યુ બાદ સર્જાયેલી ગમગીની વચ્ચે, કંપની મેનેજમેન્ટે એક અત્યંત સંવેદનશીલ અને ઉમદા નિર્ણય લીધો છે. કંપનીએ મૃતકના પરિવારને ₹૨૦ લાખની આર્થિક સહાય તો જાહેર કરી જ છે, સાથે સાથે તેમની ચાર નાની દીકરીઓના સંપૂર્ણ શિક્ષણનો ખર્ચ પણ કંપની પોતે ઉઠાવશે તેવી મોટી ઘોષણા કરી છે.પ્રશાંત રાઠવાના મૃત્યુના સમાચાર મળતાં જ, જેર ગામના સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો તુરંત સક્રિય બની સરપંચ અને ગ્રામજનો કંપનીના માલિક નટવર ડી. પટેલ સમક્ષ પહોંચ્યા હતા અને પરિવારની સ્થિતિ અંગે રજૂઆત કરી હતી.
પ્રશાંતભાઈના અચાનક અવસાનથી તેમના પરિવાર અને ચાર દીકરીઓની છત્રછાયા છીનવાઈ ગઈ હતી. ગ્રામજનોની મુખ્ય માગણી એ હતી કે દીકરીઓને સારું ભવિષ્ય અને શિક્ષણ મળે.ગ્રામજનોની આ લાગણીસભર રજૂઆત અને પ્રશાંતભાઈના પરિવારની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને, સિગ્મા લાઈફ સાયન્સ કંપનીના માલિક નટવર ડી. પટેલે માનવીય અભિગમ અપનાવ્યો. તેમણે તાત્કાલિક અસરથી મૃતકના પરિવારને ₹૨૦ લાખની આર્થિક સહાય ની જાહેરાત કરી. આ ઉપરાંત, તેમણે આ ચારેય દીકરીઓના પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ સુધીનો તમામ ખર્ચ અને તેમની જરૂરિયાતો કંપની ભોગવશે તેવી ખાતરી આપીને એક મોટો બોજ ઉતારી દીધો.છે કંપનીના આ નિર્ણયથી શોકગ્રસ્ત પરિવારને મોટી હૂંફ મળી છે.કંપની મેનેજમેન્ટના આ ઉમદા નિર્ણયથી છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જેર ગામના વતનીઓમાં સંતોષની લાગણી ફેલાઈ છે.